ભારતીય નેવીમાં ફરજ બજાવતો સુરેન્દ્રનગરનો રહેવાસી 24 વર્ષીય જવાન શહીદ થયો, ભીની આંખે બહેને ભાઈના કર્યા અંતિમ સંસ્કાર..

ભારતીય નેવીમાં ફરજ બજાવતો સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો રહેવાસી 24 વર્ષીય જવાન શહીદ થતા આજે તેના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી. જવાનના બહેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. શહીદની અંતિમયાત્રા સમયે લીલાપુર ગામ આખું હિબકે ચડ્યું હતું. ‘શહીદ જવાન તુમ અમર રહો’ ના નારા સાથે અંતિમ વિદાય આપવામા આવી હતી.
સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો રહેવાસી અને પાંચ વર્ષથી ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો કુલદીપ થડોદા નામનો નેવીનો જવાન હાલ બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતો હતો.
28 તારીખે પોરબંદરથી મુંબઈ તરફ શીપ જઈ રહ્યું હતું. આ દરમિયાન શીપનું એન્જિન રડાર ચાલુ કરતી વખતે શીપના અંદર ડોરમાં કોઈ કારણોસર કુલદીપનો પગ લપસી જતા એન્જિનના રડારના ચક્કરમાં આવી જતા બંને પગમાં ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લે જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન કુલદીપે અંતિમ શ્વાસ લીધા હતા.
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતા શહીદ જવાન કુલદીપ થડોદાના પાર્થિવ દેહને તેના ગામ લીલાપુર લઈ જવાયો હતો. આજે સવારે તેના નિવાસ સ્થાનેથી શહીદ જવાનની વિરાંજલી યાત્રા નીકળી હતી.
પોતાના ગામના શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા. આ અંતિમ સંસ્કાર પહેલા ઇન્ડિયન નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર પ્રતીક અરોડા તેમજ તેમના સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું સાથે લખતર પોલીસ દ્વારા પણ ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપવામાં આવી હતી.
શહીદ જવાનના અંતિમ સંસ્કાર માટે લીલાપુર ગામના મુક્તિધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં કુલદીપભાઈના બેન મેઘાબેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર,કુલદીપ થડોદાએ વર્ષ 2017 માં ભારતીય નેવી જોઈન કર્યું હતું. ભરતી થયા બાદ 6 મહિના ઓડિસા, 1 મહિનો મુંબઈ, 1 મહિનો ગોવા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાનું પહેલું પોસ્ટિંગ આઈ.એન.એસ. બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતો હતો. જેઓ 28 જુલાઈ ના રોજ પોરબંદરથી મુંબઈ તરફ શીપ લઈને જઈ રહ્યા હતા. ત્યાંરે શીપ પર સર્જાયેલા એક અકસ્માતમાં શહીદ થયા હતા.