બર્થેડેના બીજા જ દિવસે લાડલા પુત્રનું મોત, નાકરાણી પરિવારની ખુશીઓ આસું મા ફેરવાઈ..

સુરતમાં વાલક પાટીયા પાસે બનેલી ઘટનામાં 5 વર્ષીય માસૂમ દીકરાનો જન્મ દિવસ ઉજવીને વરાછાનું નાકરાણી પરિવાર કામરેજના ફાર્મહાઉસથી પરત ઘરે ફરી રહ્યું હતું ત્યારે રસ્તામાં ડિવાઈડર સાથે કાર અથડાઈને પલટી મારી ગઇ હતી. જેમાં કારનો દરવાજો ખુલી જતા 5 વર્ષનો દીકરો ફંગોળાઈને ડિવાઈડર સાથે ભટકાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભંડારીયા ગામના વતની ભરતભાઈ પ્રવિણભાઈ નાકરાણી વરાછા રોડ પર સરિતા દર્શન સોસાયટીમાં રહે છે. ભરતભાઇ નાકરાણી એમ્બ્રોયડરીનું કામકાજ કરે છે. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની દ્રષ્ટીબેન અને પાંચ વર્ષીય પુત્ર ઇવાન છે. બે જૂનના દિવસે બુધવારે ઇવાનનો જન્મદિવસ હોવાથી નાકરાણી પરિવાર કામરેજમાં ગાય ગલા ખાતે આવેલા ફાર્મહાઉસમાં ઉજવણી કરવા ગયા હતા.
નાકરાણી પરિવારે રાત્રિ રોકાણ પણ કામરેજના ફાર્મહાઉસમાં જ કર્યું હતું. ગુરુવારે સવારે પોતાની કારમાં બેસીને પરિવાર સુરત પરત ફરી રહ્યું હતું. કારમાં ભરતભાઈ ઉપરાંત તેમની પત્ની, ભત્રીજી, દીકરો ઇવાન અને મિત્ર મંથન વિઠ્ઠલ ઠુમ્મર હતો. કાર મંથન ચલાવતો હતો. કામરેજમાં રેસ્ટોરન્ટમાં ડિનર કરીને તેઓ ઘર તરફ આવતા હતા. ત્યારે વાલક પાટિયા પાસે બપોરે સાડા બાર વાગે મંથને કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
કાર ડિવાઈડર સાથે અથડાતા કાર બીજી સાઈડે એક વખત પલટી મારીને ફરીથી સીધી થઈને ઉભી રહી ગઈ હતી. આ દરમિયાન કારનો દરવાજો ખુલી જતા ઇવાન કારની બહાર ફંગોળાઈને ડિવાઈડર પર ફેંકાયો હતો. તેથી તેને માથાના ભાગે, મોઢાના ભાગે, દાઢી, હાથ-પગના ભાગે ઇજા થઈ હતી.
તેને તરત જ હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. કારમાં બેસેલા અન્ય લોકોને સામાન્ય ઇજા થઈ હતી. ભરતભાઈએ મંથન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.